રાધાજી નો બર્થ ડે

રાધાજી નો બર્થ ડે

કૃષ્ણજન્મ સૌ ઊજવે, તો પછી રાધાષ્ટમી કેમ નહીં? આ સવાલમાં ઊંડાં ઊતરતાં જાણવા મળ્યું કે વ્રજમાં ઉજવાતી રાધાઅષ્ટમીની રંગત જ કંઈ ઓર છે…

‘રાધે પ્યારીને જનમ લિયો હૈ, ચલો, વૃષભાનુ ગોપ કે દ્વાર…’ શ્રાવણ વદ આઠમ એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વખતે સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખે જન્માષ્ટમી રંગેચંગે ઊજવાશે. જન્માષ્ટમી એટલે કૃષ્ણનો જન્મોત્સવ. જન્માષ્ટમી પછી બરાબર પંદર દિવસ પછી આવતી તિથિ અને હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી. ગણેશોત્સવ દરમિયાન થતું ગૌરીપૂજન પણ આ જ દિવસે કરવામાં આવે છે. રાધાષ્ટમી ખાસ કરીને ઉત્તર ભારતમાં ધામધૂમથી ઊજવાય છે.

ભગવાન વિષ્ણુના વીસમા અવતાર તરીકે ભારત ભૂમિમાં દ્વાપર યુગમાં અવતરનારા શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. શક્તિસ્વરૂપા શ્રીરાધાનું પવિત્ર નામ પણ એમની સાથે જોડાયું છે. રાધા વિશે અનેક લોકવાયકા પ્રચલિત છે. રાધા એટલે શક્તિ, રાધા એટલે પ્રેમલક્ષણા ભક્તિ, શ્રીકૃષ્ણનું ડાબું અંગ એટલે રાધા. મીઠે રસ સે ભરી રે રાધારાની… વિયોગની વેદનામાં પણ ઐકયની તીવ્રતા અનુભવે એ રાધા. કહેવાય છે કે રાધા એટલે રસની ધારા. આ ભક્તિરસની ‘ધારા’ ઊંધી વહેવા માંડે (એટલે કે જગતથી વિમુખ થઈ પ્રભુ તરફ ગતિ કરે) ત્યારે એ ‘રાધા’ બની જાય છે. જોકે વિશેષ ઘ્યાન ખેંચે એવી વાત એ છે કે વેદવ્યાસજીએ લખેલા ‘શ્રીમદ્ ભાગવત’માં રાધાનો ક્યાંય ઉલ્લેખ નથી!

મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ‘કૃષ્ણાવતાર’માં લખ્યું છે: ‘રાધા વિનાના કૃષ્ણની કથાનો વિચાર કરવો પણ મુશ્કેલ લાગે છે.’ ભોગીભાઈ શાહ રચિત ‘રાધાવતાર’ પુસ્તકમાં આવતી કથા પ્રમાણે રાધા ગોલોકમાં હતાં ત્યારે એમને શ્રીદામા નામના પાર્ષદ(દેવતાઓના સંદેશવાહક)નો પ્રતિશાપ મળ્યો હતો. આ શાપને લીધે રાધાએ મૃત્યુલોકમાં મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડયો અને પ્રભુના વિરહાગ્નિમાં રાધા સો વર્ષ સુધી ઝૂર્યા હતાં. રાધા અને કૃષ્ણને યુગલસ્વરૂપે પૂજવાં અને ભજવાંની પરંપરા સદીઓથી ચાલી આવી છે.

હિંદુ ધર્મ પ્રમાણે ઇશ્વર સનાતન છે. પૃથ્વી પર ઇશ્વરનું જુદા જુદા મનુષ્ય-અવતારરૂપે પ્રાગટય થાય એ દિવસ એમનો જન્મદિવસ બને છે. રાધા-અષ્ટમીનો ઉત્સવ જન્માષ્ટમી જેટલો વ્યાપક અને લોકપ્રિય નથી. આ ગોવાલણીનું પ્રાગટય, કૃષ્ણ સાથેનું પ્રથમ મિલન તેમ જ કાનુડા સાથેની અનેક લીલા જયાં થઈ હતી તે ધરતી એટલે ગોકુળ-વૃંદાવન-બરસાનાના વ્રજ તરીકે ઓળખાતા સમગ્ર વિસ્તારમાં આજે પણ રાધાઅષ્ટમી રંગેચંગે મનાવાય છે.

વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે રાધાનો જન્મ વૃંદાવનથી ૮ કિલોમીટર દૂર આવેલા બરસાના ગામમાં થયો હતો. રાધિકા, ગાંધર્વી, કૃષ્ણમયી, વૃંદાવનેશ્વરી, વ્રજરાણી, ગોકુળતરુણી જેવાં અનેક નામથી ઓળખાતી રાધા ગાયો ચરાવનાર રાજા વૃષભાનુ અને રાણી કીર્તિદા(કલાવતી)ની પુત્રી હતી. સ્નાન કરવા ગયેલા વૃષભાનુએ યમુનાનાં જળમાં કમળના ફૂલમાં એક તેજસ્વી કન્યા જોઈ હતી, તે રાધા. રાધાનો જન્મ ભાદરવા સુદ આઠમ અને પ્રાકટયની તિથિ ભાદરવા સુદ બારસ ગણાય છે. એક માન્યતા પ્રમાણે રાધાનો જન્મ બરસાના નહીં, પણ રાવળ ગામમાં થયો હતો.

બરસાનામાં બ્રહ્મા પર્વતની ટોચ પર રાધામંદિર આવેલું છે. ત્યાં ઊજવાતી રાધાઅષ્ટમી વિશે વાત કરતાં બરસાનામાં મોટા થયેલા અને હાલ મુંબઈ સ્થાયી થયેલા ગોવર્ધનલાલ યુગલકિશોર શર્મા (પંડા) ‘અહા!જિંદગી’ને કહે છે, ‘આમ તો જન્માષ્ટમીના દિવસથી જ રાધાજન્મની વધાઈનાં ગીતો ગવાવાં માંડે છે. રોજ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે મંગળાઆરતી સુધી વધાઈનાં કીર્તનો અને પદો ગવાય છે.’

સપ્તમી એટલે કે રાધાજન્મને આગલે દિવસે થતી ‘લડ્ર્ટફેંક લીલા’ ખૂબ રોચક હોય છે. શ્રદ્ધાળુઓ અને ભકતો પોતાની ઈરછા પ્રમાણે લાડુ લાવે છે. રાધામંદિરના ચોગાનમાં આ લાડુ એકબીજા પર ફેંકવામાં આવે છે અને ત્યાર પછી તે પ્રસાદ તરીકે ખવાય છે! સપ્તમીને દિવસે જ મંદિરમાં છપ્પનભોગ ધરાવવામાં આવે છે. આ રાજભોગમાં ભાતભાતના લાડુ, ઘારી-ઘૂઘરા (ચોખા અને ઘઉંના લોટમાંથી બનતી સૂકામેવાના સ્ટિંફગવાળી, કેસર અને લવિંગવાળી ખાસ મીઠાઈ), ખાંડની ચાસણીમાં બોળેલી બદામ, મખાણા, મઠડી (ગળી અને સોલ્ટી), પંજાજીરી(સુવા, અજમા, વરિયાળી, સૂકા ધાણા, જીરું અને દળેલી ખાંડ) ઉપરાંત સખડી તરીકે ઓળખાતી વાનગીઓમાં બિરંજ, જીરાંભાત, બૂરાં ભાત, સૂકામેવાનો ભાત, દહીંભાત, કઢીભાત, અંગારોટી, મેથી, બૂરું (દળેલી ખાંડ) ઘી-રોટી, મીસરી રોટી, ફૂલકા રોટલી, દાળ, મગ વિવિધ શાકભાજી, અનેક પકવાન, દહીંપકોડા, દહીંવડા, પૂરી, કચોરી, અથાણાં પાપડ અને ખીર, માખણ મીસરી વગેરે હોય છે. ભોગ ધર્યા પછી કેસર, એલચી, સોપારી અને સૂકામેવાવાળાં પાનનાં બીડાં ધરાવાય છે.

સપ્તમીની રાત્રે અને અષ્ટમીની સવારે પાંચ વાગ્યે રાધાનો જન્મ થયા પછી રાધાની વિશિષ્ટ મૂર્તિ પર મહાઅભિષેક કરવામાં આવે છે. આ કોઈ સામાન્ય મૂર્તિ નથી, બલકે તે રાધાના પ્રાગટયરૂપે મળેલી પ્રતિમા છે. આખા વર્ષમાં આ એક જ વાર ભાવકોનાં દર્શનાર્થે તેને બહાર પધરાવવામાં આવે છે. તેથી જ આ મહાઅભિષેકનું ઘણું માહાત્મ્ય છે. અભિષેક માટે ઉપયોગમાં લેવાતાં પાત્રોમાં ફક્ત નીચેની બાજુએ છિદ્રો હોય છે. તેમાંથી થતી સહસ્રધારા વડે યુગલસ્વરૂપ રાધાકૃષ્ણ પર અભિષેક કરવામાં આવે છે. દૂધ, દહીં, મધ, ઘી, સાકર (પંચામૃત) અને યમુના કે ગંગાજળથી થતાં આ અભિષેકમાં બરસાનાના ભટ્ટપરિવારમાંની કોઈ એક વ્યકિત જરૂર સામેલ હોય છે. ભટ્ટ એટલે મંદિરના ગોસ્વામીઓના ગુરુ.

મહાભિષેક બાદ પલનાનાં દર્શન થાય છે જેમાં રાધાના પ્રાગટય સ્વરૂપને પારણામાં બેસાડી ઝુલાવાય છે. અષ્ટમીની સાંજે છ વાગ્યે રાધામંદિરથી પચાસેક પગથિયાં નીચે આવેલી છત્રી જેવી ઘુમ્મટવાળી બેઠકમાં મંદિરમાં બિરાજેલી રાધાકૃષ્ણની પ્રતિકૃતિને લાવવામાં આવે છે. આ યુગલસ્વરૂપ રાધાઅષ્ટમી ઉપરાંત હરિયાળી અમાસ અને ધૂળેટીના દિવસે, આખા વરસ દરમિયાન બધું મળીને ત્રણ વાર આ બેઠકમાં બિરાજે છે. એકાદ કલાક પછી તેને ફરી મંદિરમાં પધરાવાય છે. ત્યાર બાદ એ દિવસની છેલ્લી શયનઆરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન પ્રભુ સમક્ષ થતી આરતી જે-તે પરિવારના ગોસ્વામી કરતા હોય છે, પણ આ આરતીની વિશિષ્ટતા એ છે કે તે વખતે જે ગોસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય એમના પરિવારની કોઈ એક કુંવારી કન્યા જ આ શયનઆરતી કરી શકે. કુમારિકા દ્વારા થતી આ આરતીને ‘આરતા’ કહેવાય છે.

સપ્તમીથી શરૂ થયેલો ઉત્સવ છ દિવસ ચાલે છે. બરસાના નજીક આવેલા બ્રહ્માનાં ચાર મુખ સમા દાનગઢ, માનગઢ, વિલાસગઢ અને મોરગઢ (જેને મોરકુટી પણ કહેવાય છે)નું આ દિવસો દરમિયાન ઘણું મહત્ત્વ છે. નવમીને દિવસે વિલાસગઢ પર મહારાસ લીલા રચાય છે. તે સમાપ્ત થયા પછી જ મંદિરમાં ભોગઆરતી થાય છે. આ જ રીતે દશમીએ મોરગઢ, એકાદશીએ માનગઢ અને બારસને દિવસે દાનગઢ પર આવી રાસલીલા રચાય છે. એકાદશીને દિવસે બરસાનાથી ચાર કિલોમીટર દૂર આવેલા ગોપાલજીના મંદિરના પ્રેમસરોવર કુંડમાં અનોખી નૌકાવિહારની લીલા પણ થાય છે. આ જ પ્રકારની નૌકાલીલા બીજા દિવસે બરસાનામાં આવેલા પીલી પોખારમાં થાય છે. તેરસે એટલે કે ઉત્સવના છેલ્લા દિવસે સાંકરી ખોરમાં થતી મટકીલીલા પણ સુંદર હોય છે.

આ ઉત્સવ દરમિયાન નંદગ્રામથી આવેલા ગોસ્વામીઓ અને બરસાનાના ગોસ્વામીઓ વચ્ચે રાધાકૃષ્ણનાં પદોની સામસામી સ્પર્ધા થાય છે. એ રસાકસીને સ્થાનિક લોકો ‘સમાજ’ કહે છે. બરસાનાના મુખ્ય રાધામંદિર ઉપરાંત વૃંદાવનમાં આવેલું રાધાવલ્લભ મંદિર પણ મહત્ત્વનું ગણાય છે. ત્યાં પણ રાધાઅષ્ટમીનો ઉત્સવ વત્તેઓછે અંશે આ જ રીતે મનાવાય છે.

રાધાકૃષ્ણની શિલ્પકૃતિ તેમ જ રાધાની સખીઓની મૂર્તિઓને રાજવી વસ્ત્રો પહેરાવી સુંદર રીતે શણગારેલા રથમાં મંદિર બહાર ફેરવવામાં આવે છે. વ્રજની ગલીઓમાં ઢોલ, મંજીરા વગાડતા અને હર્ષનાદ કરતા લોકો, દુનિયાભરમાંથી આવેલા ભકતો, ઠેરઠેર રાસલીલા કે બાળલીલા જેવી પ્રસંગાનુરૂપ ઝાંખીઓ, ઢાંડિયા (પરંપરાગત પોષાકમાં સખીભાવે નાચતાં સ્ત્રી-પુરુષો)નાં નાચગાન તેમ જ મધુર અવાજે ગવાતી રાધા સ્તુતિ-રાધા આરતી- રાધા ચાલીસા શ્રદ્ધાળુઓને અલૌકિક દુનિયામાં પહોંચી ગયાની અનુભૂતિ કરાવે છે.

ગાય માતા ગાયોના સર્વ અંગો દેવમય છે

ગાય માતા ગાયોના સર્વ અંગો દેવમય છે

ગાય માતા  ગાયોના સર્વ અંગો દેવમય છે

ગાવો વિશ્વસ્ય માતરઃ

વેદોનો નિર્દેશક છે કે જો કોઇને આ સંસારમાં બધા જ પ્રકારના વૈભવો પ્રાપ્ત કરવા હોય તો તે ગૌમાતાની સેવા કરે. મહર્ષિ ચ્યવને રાજા નહુષને કહેલું કે ‘ગોભિસ્તુલ્યં ન પશ્યામિ ધનં કિંચીદા હાચ્યુત’ અર્થાત આ સંસારમાં હું ગાયો સમાન બીજું કોઇ ધન જોતો નથી.

ગાયોના સર્વ અંગો દેવમય છે. ગાયના શીંગડાનાં મુળમાં બ્રહ્માજી અને શીંગડાઓની મધ્યમાં ભગવાન નારાયણ વસે છે. શીંગડાના શીરોભાગમાં શિવજી વસે છે. પ્રજાપતિ અને બધા તીર્થો પણ ગાયના શીંગડામાં વસે છે. લલાટમાં ગૌરી અને અગ્નિ, ગળાની સંધિમાં યમ કે ધર્મરાજા, મસ્તિકમાં ચંદ્રમા, ઉપરના જડબામાં ઘુલોક અને નીચેના જડબામાં પૃથ્વીદેવી વસે છે. ગાયના દાંતમાં મરૂત દેવતા અને પીઠના હાડકાંમાં રૂદ્ર વસે છે ગાયની પીઠમાં દેવાંગનાઓ અને ખભામાં મિત્ર અને વરૂણ નામના દેવતાઓ વસે છે. ગાયની પૂંછમાં વાયુ દેવતા, પાછલા ભાગમાં ઇન્દ્ર પત્ની અને રૂંવાડામાં પવન દેવ વસે છે. ઘુંટણના હાડકાઓમાં વિધાતા અને સવિતા, પીંડીઓમાં ગંધર્વ અને ખરીમાં દેવમાતા અદિતિ વસે છે. આંતરડામાં સરસ્વતી, પેટમાં યક્ષ અને ગુદામાં દેવગણો વસે છે. ગાયના રૂધિરમાં રાક્ષસો વસે છે અને ગાયની મજ્જામાં મૃત્યુ વસે છે. ગાયના નાસિકાના અસ્થિભાગમાં કાર્તિકેય, બન્ને નકોરામાં કમ્બલ અને અશ્વરતર નામના બે નાગો વસે છે. બન્ને કાનોમાં અશ્વિનીકુમાર, નેત્રોમાં સુર્ય ચંદ્ર, દાંતોમાં આઠેય વસુગણ, કંઠમાં સરસ્વતી, ગંડસ્થળોમાં યમ અને યક્ષ, હોઠમાં બન્ને સંધ્યાઓ, ગ્રીવામાં ઇન્દ્ર અને ચારેય ચરણોમાં ધર્મ વસે છે. ખરીઓની મધ્યમાં ગંધર્વ, અગ્રભાગમાં સર્પ અને પશ્ચિમભાગમાં રાક્ષસગણ પ્રતિષ્ઠિત છે. ગાયના પૃષ્ઠ દેશમાં ૧૧ રૂદ્રો, બધા સાંધાઓમાં વરૂણ, કમરમાં પિતૃઓ, ગોમુત્રમાં સાક્ષાત ગંગા અને ગોબરમાં યમુનાજી તથા લક્ષ્મીજી વસે છે. ગાયના રોમ સમુહોમાં અન્ય સર્વ દેવો વસે છે. ગાયના જઠરમાં ગાર્હપત્ય અગ્નિ, હ્ય્દયમાં દક્ષિણાગ્નિ કંઠમાં સાહવનીયાગ્નિ અને તાલુપ્રદેશમાં સભ્યાગ્નિ સ્થિત છે. પદમ પુરાણ મુજબ ગાયના પગોના અગ્રભાગમાં આકાશચારી દેવતાઓ અને ભાંભરવાના અવાજમાં પ્રજાપતિ અને ગો મુત્રમાં પાર્વતીજી પણ વસે છે. ગાયના શીંગડાને સ્નાન કરાવવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્નાન કરાવ્યા બરાબર છે. ગાયની કમર ખજવાળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. મહાભારત મુજબ ગાયના શ્વાસોમાં છ અંગો પદ અને ક્રમ સહિત વેદોનો વાસ છે.

ગાય બેઠી હોય ત્યારે અગ્નિ રૂપ છે અને ઉઠતી વખતે અશ્વિનીકુમારોનું રૂપ છે. ગાય પૂર્વ બાજુ મોઢું રાખીને ઉભી હોય ત્યારે ઇન્દ્ર છે અને દક્ષિણ બાજુ મોં રાખીને ઉભી હોય ત્યારે યમરાજનું સ્વરૂપ છે. સામે જોતી વખતે ગાય મિત્ર દેવતા છે અને પીઠ ફેરવતી વખતે આનંદરૂપ પરમાત્મા છે.

ગાયનું દાન શાસ્ત્રોમાં અતિપુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે. તેની સેવાથી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ગાયને ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે. આથી તેની સેવા કરવાથી દેવતાઓ આપણી પર પ્રસન્ન થાય છે. ગાયને ઘાસ ખવડાવનારાની હંમેશા ઉન્નતિ થાય છે. ગાયમાં ભગવતી સરસ્વતીનો નિવાસ છે. આથી તેની પૂજા કરવાથી કષ્ટો દૂર થાય છે. આયુર્વેદમાં પણ ગાયનાં દૂધ અને ઘીને ઉત્તમ ગણવામાં આવ્યું છે. ગાયના દૂધમાંથી બનાવેલું દહીં અમૃત સમાન છે. સવારે ઊઠીને ગાયના ઘીમાં પોતાનું મોં જોવામાં આવે તો દુઃખ – દરિદ્રતાનો નાશ થાય છે. ગાયનાં દર્શન માત્રથી આપણને પુણ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. આજે પણ કોઈ સારા કામે જતાં હોઈએ છીએ ત્યારે ગાયના શુકનને ફળદાયી માનીએ છીએ. શુભકાર્યોમાં ગાયનું હંમેશા પૂજન કરવામાં આવે છે.

શ્રી ગણેશ કથા શિવમહાપુરાણ

શ્રી ગણેશ કથા શિવમહાપુરાણ

શ્રી ગણેશ કથા શિવમહાપુરાણ

એક વખત ભગવાન શંકર જ્યારે તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ વિચાર્યું કે, પોતાની પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી તેમણે પોતાના ગણ તરીકે એક ઉત્તમ આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવા વિચાર્યું. પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક  સોહામણા પુરુષનું સર્જન કર્યું, અને તેમાં પ્રાણ પૂર્યા, અને તેને દ્વારપાળ બનાવ્યો. ગણેશજીએ માતાને વંદન કરી કહ્યું કે, મારે શું કામ કરવાનું છે? મને આજ્ઞા આપો. પાર્વતીએ ગણેશના હાથમાં દંડ આપી આજ્ઞા કરી કે, પોતાના  નિવાસસ્થાનમાં કોઇ પ્રવેશે નહિ, અને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું.

પાર્વતી માતાએ દ્વારપાલ તરીકે પોતાની નિયુકિત કરી હતી તેથી ગણેશજી કોઇ ને આવાસમાં આવવા દેતા નહી. એક દિવસ પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં, ત્યારે તપશ્રર્યા કરી પાછા ફરેલા શિવજીએ ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે તેમને અટકાવ્યાં , કારણ કે ગણેશ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું કે, મારી માતા સ્નાન કરવા બેઠાં છે, માટે થોડી વાર પછી આવજો. શંકરે પોતાના ધરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું ; અરે ! ઓ મૂર્ખ ! હું પાર્વતીનો પતિ છું. તું સાક્ષાત્ શિવજીને તેમને ઘરમાં જતા રોકે છે ? ગણપતિ એ તેમને દંડ વડે પ્રહાર કરતાં કહ્યું  હું પાર્વતી નો ગણ છું, માતા પાર્વતી ની આજ્ઞાથી ગૃહની ચોકી કરતો હોવાથી ગૃહપ્રવેશની મનાઇ છે, માટે હું કોઇ ને ગૃહમાં પ્રવેશ કરવા  નહિ દઉં

શંકરે પોતાના ગણોને પૂછયું કે, આ કોણ છે? ગણોએ ગણપતિને કહ્યું કે,જો જીવતા રહેવું હોય  તો નાસી છૂટો, અમે શંકર ના ગણો છીએ. ગણેશે કહ્યું કે, મને મારી ફરજ બજાવવા દો. શંકરની સૂચનાથી એમના ગણો શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. શિવગણો અને ગણપતિ વચ્ચે તુમુલ યુધ્ધ થયું. શિવજીની સૂચના થી એમના ગણો શસ્ત્રો ના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ ગણેશજીએ, મોટી ભૂંગળો લઇ સૌને ઘાયલ કર્યા. શિવજી એ લીલા કરીને ગણોનો ગર્વ ઉતાર્યો.ત્યાર પછી કાર્તિકેય ગણેશ સામે શસ્ત્ર-અસ્ત્ર દ્વારા યુદ્વ કરવા લાગ્યા, પરંતુ ગણેશે સર્વ શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર નિષ્ફળ બનાવ્યા.

પાર્વતીજી એ મોકલેલી બે ‘શકિત’ ની સહાયથી ગણેશે સર્વ ગણોને આકુળવ્યાકુળ બનાવી દીધા. ભગવાન વિષ્ણુ ગણેશ સામે યુદ્વ કરવા સજ્જ થયા તો ગણેશે તેમના પર પણ પ્રહાર કર્યો. ત્રિશૂળ લઇ લડવા આવેલા શિવજીનું ત્રિશૂળ ભૂંગળ દ્વારા નીચે પાડી દીધું. વિષ્ણુ અને ગણેશ વચ્ચે તુમુલ યુદ્વ તો ચાલતું જ હતું, તે દરમિયાન શિવજીએ સમયસૂચકતા વાપરી ગણેશ નું મસ્તક  છેદી નાખ્યું. શિવગણો તો હર્ષવિભોર બની નાચી ઊઠ્યા.

નારદજી એ પાર્વતી ને સમાચાર આપ્યા કે, મહેશે ગણેશ દ્વારપાલ નું મસ્તક છેદી નાખ્યું છે. પાર્વતીજી એ ક્રોધ કરીને પ્રલય અર્થે અસંખ્ય શકિતઓ ઉત્પન્ન કરી. આ મહામાયાઓ પ્રલય કરવા અને યુદ્વ કરવા જ આવેલી. સર્વ દેવો, યક્ષો, મુનિવર્યો, રાક્ષસો વગેરેનો સંહાર કરવા આજ્ઞા આપી હતી. શકિતદેવી ઓએ હાહાકાર મચાવી દીધો ! આ હત્યાકાંડ થતો અટકાવવા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે પ્રાર્થના કરે કે અમારો અપરાધ થયો છે માટે અમારા પર પ્રસન્ન થઇ ક્ષમા કરો. પાર્વતીજી ને શાંત થવા કાલાવાલા કર્યા અને આ અનર્થ અટકાવવા સ્તુતિ કરી.

પાર્વતીજી એ કહ્યું કે, મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ આ અનર્થ અટકે, નહિતર શકિતદેવીઓ, આ મહામાયાઓ સર્વ નો સંહાર કરી નાખશે. તે જગતમાં  કલ્યાણકારક અને સર્વ નો અધ્યક્ષ બને  તો જ મારા હ્રદય ને શાંતિ થશે, અને આ લોકમાં સૌ સુખ-શાંતિ પામશે. વળી, મારો પુત્ર જીવંત બની જગતમાં પૂજનીય અને વંદનીય બને તેમ કબૂલ કરતા હો તો જ ત્રણેય લોક માં શાંતિ સ્થપાશે. શંકરે કહ્યું હે દેવર્ષિઓ! તમે ઉત્તર દિશા પ્રતિ પ્રયાણ કરો, અને જે કોઇ પ્રથમ મળે તેનું મસ્તક  લઇ આવો. આથી શિવગણોએ માર્ગ માં સૌપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશના ધડ પર રાખી દીધું. ભગવાન શંકરે મંત્રેલું જળ ગણેશ ના શરીર પર છાંટી જીવતદાન આપ્યું.

પુત્રને જીવંત જોઇ પાર્વતી એ પ્રેમ થી તેડી લીધો, અને વાત્સલ્યપ્રેમની વર્ષા કરી. પાર્વતીજીએ  તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું કે, તું સર્વ દેવોમાં સર્વપ્રથમ પૂજાનો અધિકારી થશે. ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તારી પૂજા કરનારનાં વિધ્નો દૂર થશે અને પૂજન કરનાર રિદ્વિસિદ્વિ  ને પામશે. જેમ અમારી પૂજા લોકો કરે છે તેમ સૌપ્રથમ લોકો તારી પૂજા કરશે અને તેં આપેલા વરદાન ફળશે. ત્યાર પછી શિવજીએ ગણેશને વરદાન આપ્યું કે, હે ગજાનન! ભાદરવા સુદ ચોથના દિવસે  ચંદ્રોદય થતાં રાત્રિના પ્રથમ પ્રહરમાં તમે પાર્વતીના ચિત્ત માં પ્રાદુર્ભાવ પામ્યા હોવાથી તે  પરમ પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમારું અર્ચનપૂજન જે કરશે તેઓ જરૂર મનોવાંછિત ફળને પામશે. ત્યાર બાદ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા કરવા ઉત્સવ નું આયોજન થયું.

સર્વ દેવો એ  એકત્ર થઇ ને ગણપતિ નો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યો. પછી દેવોએ ભકિતપૂર્વક શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીએ પોતાના ખોળામાં ગણેશને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે. ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ  ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.

શ્રી ગણેશ યજ્ઞ

શ્રી ગણેશ યજ્ઞ

શ્રી ગણેશ યજ્ઞ 

कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।

ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન – ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.

॥ कलौ चंडी विनायकौ ॥

આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.

ગણેશ યજ્ઞનું મહત્વ

ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં “સંકષ્ટ નાશન” નામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ

विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम् ॥

વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હોમાત્મક ફળ

“દૂર્વાંકૂરો” થી (ધરો) હોમ કરનાર તે કુબેર જેવો ધનવાન બને છે.

“ડાંગર” થી હોમ કરે છે તે યશસ્વી તેમજ બુધ્ધિમાન બને છે.

એક હજાર “મોદક” (લાડુ) થી હોમ કરે છે તે વાંચ્છિત ફળ મેળવે છે.

જે “ઘી” અને “સમિધ” દ્વારા હોમ કરે છે તે દરેક વસ્તુ મેળવી શકે છે.

ગણેશ યજ્ઞમાં અગ્નિકુંડમાં મહાગણપતિનું આવાહન કરી ૧૦ બ્રાહ્મણો દ્વારા ગણેશ અર્થવર્શીષ સ્તોત્ર દ્વાર ૧૦૦૦ મોદકનો હોમ કરવામાં આવે છે.
સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે હવન, યજ્ઞ, યાગ આ દરેક શબ્દનો અર્થ એક જ થાય છે તેમ સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તે અલગ – અલગ છે.

હવન : જેમાં યજ્ઞ કુંડમાં ૧૦૦૦ થી ઓછી આહુતિ અપાય તેને હવન કહેવાય.

યજ્ઞ : જે યજ્ઞકુંડમાં ૧૦૦૦ થી વધારે આહુતિ અપાય તેને યજ્ઞ કહેવાય.

યાગ : જેમાં દસ હજાર કે તેથી વધુ આહુતિ અપાય તેને યાગ કહેવાય છે. જે ત્રણ, પાંચ, નવ, અગિયાર દિવસનો હોમાત્મક પ્રયોગ હોય છે.

શ્રી ગણેશ કથા વિવાહ

એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહ નો વિવાદ થયો. બંને  પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.

માતા-પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”

કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી એ ચતુરાઇ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે , જે કોઇ વ્યકિત માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યાના ફળ ની પ્રાપ્તિ થાય છે. માતા-પિતાનાં ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે.માતા-પિતા ગણેશ ની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.

વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’ અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહ નો ઉત્સવ ભવ્ય રીતે ઉજ્વ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિ ની કુખે ‘લાભ’ નામે પુત્રરત્ન નો જન્મ થયો.

આ બાજુ કાર્તિકેય ને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણાને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશ નો વિવાહ દેવાંશી રૂપવાળી બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ આપ્યો છે.કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇ ને વસ્યા. ત્યાર બાદ કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાશ થી દક્ષિણ માં આવી શ્રી શૈલ પર રહ્યાં.

કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પચે ઉદ્વેગથી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતાં. પુત્રવિયોગ અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર  ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’નામે જ્યોતિર્લિગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં. ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેય નાં દર્શને જતાં હતાં. કાર્તિકી પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેય નાં દર્શન કરે ચે તેને ઇષ્ઠસિદ્વિ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.

ગૌરીપુત્ર ગણેશ નો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં, ‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.